ભારત – ઇંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝ : પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડે ભારતને 227 રનથી હરાવ્યું

પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડે ભારતને 227 રનથી હરાવ્યું હતું. ભારતીય ટીમ માટે 420 રનનો મોટો લક્ષ્યાંક હતો, જેની સામે ભારતની ટીમ માત્ર 192 રન જ બનાવી શકી હતી. અંતિમ દિવસે યજમાન ટીમે 381 રન બનાવવાના હતા, પરંતુ જેમ્સ એન્ડરસન, જેક લીચની ખતરનાક બોલિંગ સામે આખી ભારતીય બેટિંગ લાઇન-અપ પડી ભાંગી હતી. ભારતને ઇંગ્લેન્ડ સામે સૌથી મોટી હાર (રનની દ્રષ્ટિએ) સહન કરવી પડી છે. આ પહેલા 2006માં ઈંગ્લેન્ડે મુંબઈમાં ભારતીય ટીમને 212 રનથી હરાવી હતી.

જ્યારે સાતમી વિકેટ માટે 50 રનની ભાગીદારી પૂર્ણ થઈ ત્યારે બેન સ્ટોક્સે 51 ઓવરના પહેલા જ બોલ પર અશ્વિનને આઉટ કર્યો હતો. અને વિરાટ-અશ્વિન જોડીએ 99 બોલમાં 52 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ચેન્નાઇ ટેસ્ટની બીજી ઇનિંગમાં અડધી સદી ફટકારી છે. આ તેની કારકિર્દીની 24મી અડધી સદી છે. કોહલીએ 74 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી.

ભારતીય ટીમની એકમાત્ર આશા વિરાટ કોહલી પણ ક્લીન બોલ્ડ થયો હતો. બોલ પિચ પર પડ્યા પછી ઘણો નીચો રહ્યો અને વિરાટનો દાવ 72 રને સમાપ્ત થયો. પ્રથમ ઇનિંગ્સમાં 85 રન બનાવનાર વોશિંગટન સુંદર પણ બીજી ઇનિંગમાં નિષ્ફળ ગયો હતો. તે ખાતું ખોલાવ્યા વિના જ મેદાન બહાર થયો હતો. અને તેને ડોમ બેસ દ્વારા શિકાર કરવામાં આવ્યો હતો. ટીમ ઈન્ડિયા માટે આ છઠ્ઠો આંચકો હતો.

ઇંગ્લેન્ડ ગઈકાલે તેની બીજી ઇનિંગમાં માત્ર 178 રનમાં ઓલઆઉટ થઈ ગઇ હતી. અશ્વિને છ વિકેટ ઝડપી હતી. પ્રથમ ઇનિંગ્સના આધારે, તેની પાસે 419 રનની વિશાળ લીડ હતી, તેથી ભારતે હવે આ મેચ જીતવા માટે એક દિવસમાં 420 રન બનાવવાના હતા. અગાઉ ભારત 257/6 ના ત્રીજા દિવસના સ્કોર કરતાં 80 રન આગળ વધારવામાં સફળ રહ્યું હતું અને ટીમ ઈન્ડિયા 337 રનમાં સમેટાઇ ગઇ હતી. સુંદરે તેની સતત બીજી અડધી સદી ફટકારી હતી અને 85 રન બનાવ્યા બાદ તે અણનમ રહ્યો હતો. ઇંગ્લેન્ડે પ્રથમ ઇનિંગ્સમાં 578 રન બનાવ્યા હતા.