અમદાવાદ શહેરમાં રથયાત્રા પૂર્ણ : ભગવાન જગન્નાથ નિયત સમય કરતાં પહેલા જ નિજમંદિરે પરત ફર્યા
અમદાવાદ શહેરમાં કોરોનાની વચ્ચે આજે બે વર્ષના અંતર બાદ ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા નીકળી હતી . સવારે 4 વાગ્યાથી મંગળા આરતીથી પરંપરાગત વિધિ શરૂ થઈ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંદિર પરિસરમાં સોનાની સાવરણી સાથે પરંપરાગત રીતે પહિંદવિધિ કરીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.રાજકીય નેતાઓ પણ આ યાત્રામાં ભાગ લેવા માટે આવી પહોચ્યા હતા, વિજય રૂપાણી સહિત પ્રદીપસિંહ જાડેજા, તેમજ નિતિન પટેલ પણ હાજર રહ્યા હતા.
માત્ર બે કલાકમાં પોણી રથયાત્રા પૂરી થઈ ગઈ છે. કોટ વિસ્તારમાં ચુસ્ત કર્ફ્યૂ જોવા મળી રહ્યો છે. ત્રણેય રથ નિજમંદિર પહોંચ્યા હતા, જ્યાં બહાર પ્રદીપસિંહ જાડેજાએ રથનું સ્વાગત કર્યું હતું. 10.46 વાગે પહેલો રથ જગન્નાથજીનો પરત આવ્યો ત્યાર બાદ 10.49 વાગે સુભદ્રાજીનો રથ અને ભાઈ બલરામનો રથ 10.51 વાગે મંદિરમાં પરત આવ્યો હતો. આ સાથે જ રથયાત્રા વહેલી પૂરી થતાં 11.30 વાગ્યાથી અમદાવાદ કેટલાક વિસ્તારમાં લાગેલો કર્ફ્યૂ હટાવવામાં આવ્યો હતો , જો કે આ પહેલા કરફ્યુનો સમય લોકો માટે 2 વાગ્યા સુધી રાખવામા આવ્યો હતો.
આજે અષાઢી બીજે જગતના નાથ જાતે જ નગરજનોને આશિર્વાદ આપવા માટે નગરચર્યાએ નીકળે છે. ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા ભક્તો વગર જ નીકળતા ઐતિહાસિક બની હતી. કોરોના મહામારીને પગલે આ વખતે રથયાત્રાના 19 કિલોમીટરના રૂટ પર સવારે 7થી બપોરે 2 દરમિયાન કરફ્યૂ જાહેર કરવામાં આવ્યો હતો. પરંતુ રથયાત્રા નિયત સમય કરતા પહેલા જ એટલે સવારે 11 કલાકે જ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઇ ગઇ હતી. જેથી 11.30 કલાકે કરફ્યૂગ્રસ્ત વિસ્તારોમાંથી કરફ્યૂ હટાવી લેવામાં આવ્યો હતો.
આ વખતે ન તો ભજન મંડળી હતી કે કોઇ ગજરાજ હતા કે ન કોઇ ટ્રક કે અખાડા હતા પરંતુ આ વખતે રથ સાથે કડક પોલીસ બંદોબસ્ત હતો. રથયાત્રામાં ત્રણ રથ, બે અન્ય વાહનો તથા પોલીસ કાફલો જ જોવા મળી રહ્યો હતો.