અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવી જ જોઇએ: મહંત લક્ષ્મણ દાસજી
શહેરમાં ગત વર્ષે કોરોનાના કહેરને લીધે ભગવાન જગન્નાથની પરંપરાગત રથયાત્રાને સરકારે મંજૂરી ન આપતા યોજાઇ નહોતી પરંતુ હવે આ વર્ષે પણ યાત્રા યોજવી કે કેમ તે અંગે સરકારે હજુ સુધી નિર્ણય લીધો ન હોવાથી સંત સમાજ પણ દુવિધામાં છે. બીજી બાજુ જગન્નાથજીના મોસાળ સરસપુરના રણછોડજીના મંદિરના મહંત લક્ષ્મણદાસે જણાવ્યું હતું કે, રથયાત્રા કોઈપણ સંજોગમાં કાઢવી જોઈએ, નહિ નીકળે તો હું સખત પગલાં ભરવા તૈયાર છું.
જગન્નાથ મંદિર ખાતે રથયાત્રાની પૂરી તૈયારીઓ ચાલી રહી છે, પરંતુ સરકાર તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ગત વર્ષે પણ રથયાત્રા ન યોજાય તો સંત લક્ષ્મણદાસે આત્મહત્યાની ચીમકી આપી હતી, પરંતુ પોલીસ અને અન્ય સંતોની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો. ત્યારે આ વર્ષે પણ રથયાત્રા અગાઉ લક્ષ્મણદાસે રથયાત્રા કાઢવાની માગણી કરી છે. આ વર્ષે પણ રથયાત્રા નહિ નીકળે તો તેઓ પોતાની રીતે પગલાં ભરશે.મહંત લક્ષ્મણદાસે જણાવ્યું હતું કે રથયાત્રા અંગે અસમંજસ ના હોવું જોઈએ. કેસ ઘટ્યા છે અને તમામ છૂટછાટ આપવામાં આવી છે તો કોઈપણ સંજોગમાં રથયાત્રા કાઢવી જોઈએ. સરકારે કરફયૂ રાખવો કે પછી લોકોની ભીડ એકઠી ના થવા દેવી, પરંતુ રથયાત્રા કાઢવા અંગે નિર્ણય લેવો જોઈએ. રથયાત્રા નીકળશે તો સૌનું ભલું થશે.
મંદિર અંગે પણ લક્ષ્મણદાસે જણાવ્યું હતું કે પહેલાં ભગવાનને વાસણશેરી ખાતેના રણછોડજી મંદિર ખાતે લાવવામાં આવતા હતા, પરંતુ ૧૫ વર્ષથી મામેરાપ્રથા શરુ થઇ ત્યારથી ભગવાનને સરસપુર ચાર રસ્તા ખાતેના નવા રણછોડજી મંદિર ખાતે લાવવામાં આવે છે. એ મંદિર રસ્તા પર હોવાથી વધુ લોકો દર્શન માટે આવે છે. આ મંદિર અંદર છે. અમારા જૂના મંદિરમાં રથયાત્રાએ અનેક સંતો આવે છે, જેમને જમાડવામાં આવે છે અને તેમની પૂજા પણ કરવામાં આવે છે.